જામનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય
જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર કોરોના વાયરસ ના સંક્રમણને રોકવા માટેની લડાઇ લડી રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસની સંખ્યામાં વધારો થતાં સમરસ હોસ્ટેલ સિવાય જામનગર શહેરના વિસ્તારમાં જુદાં-જુદાં ચાર સ્થળોએ ક્વૉરેન્ટાઈન સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. અને જે કોઇ વ્યક્તિને ક્વૉરેન્ટાઈન કરવાની જરૂર પડે તે માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દ્વારા આવા સેન્ટરોની મુલાકાત લઇ જરૂરી સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે. જામનગર શહેરમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો મળ્યા પછી તેઓના સંપર્ક માં આવેલી વ્યક્તિઓને હોમ ક્વૉરેન્ટાઈન કરવા અથવા તો તેઓને અન્ય ક્વૉરેન્ટાઈન સેન્ટરમાં રાખવા માટે હાલ સમરસ હોસ્ટેલ એક જ કાર્યરત હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા સેન્ટર ઉભા કરવા માટેનો મ્યુનિ.કમિશનર શ્રી સતીશ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગર હરિયા સ્કુલ, કુંવરબાઇ જૈન ધર્મશાળા, આયુર્વેદિક હોસ્પિટલ અને સૈફી હોસ્પિટલ વગેરે ચાર સ્થળોએ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. ...